Friday, December 6, 2013

27 વર્ષનો જેલવાસ ભોગવ્યા પછી પણ કોઈના પર વેરવૃત્તિ ન રાખનાર દ.આફ્રિકાના ગાંધી
નેલ્સન મંડેલા

 

હું એક આફ્રિકન દેશભક્ત છું, ડેમોક્રેસીમાં વિશ્ર્વાસ કરું છું, કોમ્યુનિઝમમાં નહીં. મારા પર જે આરોપ મૂકાયા છે તે તમામ બેબુનિયાદ છે. મારા દેશની સ્વતંત્રતા માટે જે કરવું જોઈએ એ જ મેં કર્યું છે. કોઈપણ નાગરિક માતૃભૂમિની આઝાદી માટે આવું જ કરે. માતૃભૂમિ માટે લડનારા વીર પુરુષોને માનથી જોવામાં આવે છે. માતૃભૂમિની સ્વતંત્રતા માટે લડવું એ કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ના જ ગણાય. મેં જે કાંઈપણ કર્યું તે દેશબંધુઓ માટે કર્યું છે. મારે દેશની સ્વતંત્રતા માટે ક્રાંતિવીર બનવું પડ્યું એના માટે ગોરાઓની સરકારે ઊભા કરેલા સંજોગો જવાબદાર છે. અમારો વિરોધ ગોરી સરકારના આફ્રિકન શોષણ, સિતમ સામે છે. અમે ક્યારેય ગોરાઓનો સંહાર નથી કર્યો.  આફ્રિકનો અહીં જન્મ્યા છે તો આ દેશ તેમનો રહેવો જોઈએ, આ માંગણી શું અજુગતી છે ? અમે શ્ર્વેતોના દેશમાં જઈ રાજ કરીએ તો શ્ર્વેતો શું સાંખી શકશે ?' વિશ્ર્વની શ્રેષ્ઠતમ સ્પીચીસમાં સામેલ આ સ્પીચના અંશ દ. આફ્રિકાના મહાન ક્રાંતિકારી નેતા નેલ્સન મંડેલાની છે જેમાં આક્રોશ, વ્યથા,  પીડા-સંવેદના છે, માનવીય ચેતનાને જગાડતી ફિલોસોફી છે. રિવોનીયા ટ્રાયલ તરીકે જગવિખ્યાત આ કેસમાં નેલ્સન મંડેલાએ લગાતાર ચાર કલાક સુધી અભૂતપૂર્વ ભાષણ આપી ગોરાઓની બોલતી બંધ કરી દીધી હતી. વિશ્ર્વભરના અખબારોએ તેનું કવરેજ કર્યું હતું. દ.આફ્રિકામાં સ્વતંત્રતા ઝંખતા આફ્રિકનોમાં એક નવી ચેતના જાગૃત કરી દીધી હતી.

આજે આ દ.આફ્રિકા આઝાદ દેશ છે, શ્ર્વેત-અશ્ર્વેત તમામ લોકોને સમાન અધિકાર છે. નેલ્સન મંડેલા પણ જેલમાંથી મુક્ત થઈને દ. આફ્રિકાના પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે. પણ એક સમયે આફ્રિકાની આ મૂળ પ્રજાને ગોરા હાકેમોએ ગુલામ બનાવી રાખી હતી. તેમના મૂળભૂત હક્કો છીનવી લીધા હતા. તેમનું જીવન નર્કથી પણ બદતર હતું. ગોરાઓના અત્યાચાર સામે અવાજ ઉઠાવવો એટલે મોત સામે બાથ ભીડવી, પણ આવું સાહસિક કામ કર્યું નેલ્સન મંડેલાએ. કેવી રીતે કર્યું આ સાહસ ? કેવી રીતે જીતી રંગભેદ સામેની લડાઈ એ જાણવું હોય તો નેલ્સન મંડેલાના ભૂતકાળથી વર્તમાન સુધીની ઐતિહાસિક સફર ખેડવી પડે.

નેલ્સન મંડેલાનું બાળપણનું નામ હતું `રોલીહલાહલા (Rolihlahla). ગોરાઓની સ્કૂલમાં ત્યારે આવા આફ્રિકન નામ બોલાય જ નહીં આથી ત્યાંના શિક્ષકે તેમનું ક્રિશ્ર્ચિયન નામ રાખ્યું નેલ્સન. મળૂ થેમ્બુ જાતિના નેલ્સન મંડેલાના પૂર્વજો ત્યાંના રાજા હતા. થેમ્બુ મુખી મડીબાના નામથી ઓળખાતા જેથી આગળ જતાં નેલ્સન મંડેલા `મેડિબા'ના નામે પણ ઓળખાયા. બાળપણમાં જોકે નેલ્સન થોડાં તોફાની અને પ્રકૃતિ સાથે લગાવ ધરાવતા હતા. પાંચ વર્ષની ઉંમરે જ તેઓ ધણ ચરાવવા જતાં. મિત્રો સાથે નિર્વસ્ત્ર નદી અને ઝરણામાં ધૂબાકા પણ ખૂબ બોલાવતા. હંમેશાં ગાયનું તાજુ દૂધ પીવાનું અને ખૂલ્લું આકાશ, ઉડતા પંખીઓ, ઝરણાઓ તેમના મનને પ્રફુલ્લિતતાથી ભરી દેતા. સાંજે તેમના પિતાજી ખાટલો ઢાળી બેસતાં અને તમામ બાળકોને હૉઝા વીરોની બહાદુરીની અનેક વાર્તા કહેતાં. જેના લીધે જ તેમનામાં સાહસિકતા, સહિષ્ણુતા જેવા ગુણો વિકસ્યા. પિતાજીના મૃત્યુ બાદ નેલ્સન હેક્ઝવેનીમાં આવ્યા. ત્યાં તેમણે કલર્કબરી સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો અને અંગ્રેજી રીતભાત શીખ્યા. અહીં જ તેમને બોક્સિંગની રમતમાં રસ જાગ્યો અને બોક્સિંગ શીખ્યા પણ ખરા. જોકે હું આફ્રિકન છું અને મારા દેશને આઝાદ બનાવવો છે એવી સમજ પ્રખ્યાત હૉઝા કવિ ક્રુને મ્હાયીને સાંભળીને મળી. તેમના વીરરસની કવિતાઓએ નેલ્સનના મનને ઝંઝોળી નાંખ્યું. ત્યારબાદ 1960માં આફ્રિકનો માટે એકમાત્ર કોલેજ-યુનિ. એવી ફોર્ટ હેરમાં તેમણે એડમિશન લીધું. અહીં તેમનો માનસિક, બૌદ્ધિક અને શારીરિક વિકાસ થયો. કોલેજમાં અબ્રાહમ લિંકનના નાટકમાં પાત્ર ભજવ્યું. જોકે, કોલેજમાં વિવાદ થતાં માંડેલાએ ભારે હૈયે તેને છોડવી પડી. ઘરે પરત ફરતાં વડીલોએ ધમકાવતાં તેઓ ગામ છોડી જોહાનિસબર્ગ ભાગી આવ્યા. અહીં તેમણે ખાણિયાઓના ચોકીદાર તરીકે કામ કર્યું, ઘણા સારા મિત્રો બન્યા, જાતિભેદ-રંગભેગ મિટાવવા મન તત્પર બન્યું અને 1943માં બીએની ડિગ્રી મેળવી, ત્યારબાદ એલએલબી જોઈન કર્યું. થેમ્બુ જાતિમાં તેઓ સૌ પ્રથમ વકીલ હતા.

જોહાનિસબર્ગમાં જ તેઓ એએનસી (આફ્રિકન નેશનલ કોંગ્રેસ)ના સંપર્કમાં આવ્યા અને તેમનું પૂરું જીવન બદલાઈ ગયું. રંગભેદ અને ભેદભાવભરી નીતિના લીધે ડગલે  ને પગલે અપમાનો જોઈને મંડેલાનું દિલ બળવો કરવા પોકારી ઉઠતું. અહીંથી તેમની સ્વતંત્રતા મેળવવાની લડતનો પ્રારંભ થયો. જેમાં સાથ મળ્યો  વોલ્ટર સીસુલુ, ઓલીવર ટેમ્બો, ડૉ.મોઝોમ્બોઝી, વિક્ટર મ્બોબો, વિલિયમ ન્કોમો વગેરે. 1944માં તેમણે યુથ લીગની સ્થાપ્ના કરી પછી તો જીવનમાં એકમાત્ર ધ્યેય રહ્યું..અંગ્રેજોની હકુમતને ઉથલાવી અહીં લોકશાહીની સ્થાપ્ના કરવાનું.

આ લડતમાં તેમને ઘણા ઈન્ડિયન દોસ્તોનો પણ સાથ મળ્યો જેમાં ઈસ્માઈલ મીર, જે.એન.સીંગ, એહમદ ભૂલા, રામલાલ ભૂલિયા ખાસ હતા. ભારતીય મૂળની જ અમીના કચલીયા અને તેમના પતિ યુસુફ કચલીયા સાથે ખૂબ નજીકના સંબંધો હતા. જોકે મહાત્મા ગાંધીના વિચારો, સત્યાગ્રહ અને અહિંસક લડતનો તેમના પર ભારે પ્રભાવ હતો. તેઓ રાજકારણમાં સક્રિય બન્યાં અને વિવિધ આંદોલનો દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ કર્યો, દેશની જનતાને પણ લડવા માટે પ્રેરણા આપી. આ સાથે સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પ્રથમવાર તેમની ધરપકડ થઈ. જોકે ત્યારબાદ તેમણે બીજા દેશોનો સાથ મેળવવા આફ્રિકાના અન્ય દેશો અને ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. સાથે સાથે મીલિટ્રી ટ્રેનિંગ અને બોમ્બ બનાવવાનું પણ શીખ્યા. 23 જુલાઈ 1962માં તેઓ આફ્રિકામાં પરત ફરતાં જ તેમની ધરપકડ થઈ અને દેશદ્રોહના આરોપસર તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રિવોનીયા ટ્રાયલ તરીકે ખ્યાતિપ્રાપ્ત આ કેસમાં નેલ્સન મંડેલાએ તેમની જગવિખ્યાત સ્પીચ આપી હતી.

12 જૂન 1964ના દિવસે તેમને આજીવન જેલ થઈ હતી જેમાંથી ક્યારે છૂટાશે તેનો કોઈ અંદાજો ન હતો. હવે તેમની ખરી જેલયાત્રા શરૂ થઈ હતી. લગભગ 27 વર્ષ આફ્રિકાની વિવિધ જેલમાં અસહ્ય યાતનાઓ, પારાવાર પીડા, દુ:ખ, પરિવારના વિયોગ વચ્ચે પસાર કર્યા છતાં લક્ષ્ય માત્ર એક હતું કે ક્યારે આફ્રિકા આ ગોરાઓથી આઝાદ થાય, ક્યારે અમને સમાનતા મળે ? આ દરમિયાન તેઓ જગવિખ્યાત નેતા બની ચૂક્યા હતા. તેમની ખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસરી ચૂકી હતી. સરકાર પર તેમને છોડી મૂકવા આંતરરાષ્ટ્રીય દબાણ વધતું હતું. નેલ્સન મંડેલાને જોકે  આઝાદી, સમાનતા સિવાય કાંઈ જોઈતું ન હતું. આખરે, 11 ફેબ્રુઆરી, 1990માં તેમને વિક્ટર વર્સ્ટર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

1991માં તેઓ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)ના પ્રમુખ તરીકે ચૂંટાયા. સૌથી મહત્ત્વની સિદ્ધિમાં 1993માં તેમને અને પ્રમુખ ડી કલર્કને સંયુક્ત રીતે શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું. 1994માં પ્રથમ વાર  આફ્રિકન પ્રજાને વોટ નાંખવાનો અધિકાર મળ્યો અને મંડેલાએ જીવનમાં પહેલીવાર વોટિંગ કર્યું. એટલું જ નહીં પણ 10 મે, 1994ના રોજ તેઓ સૌ પ્રથમ લોકશાહી ઢબે ચૂંટાયેલ પ્રમુખ બન્યા. દરેક આફ્રિકન અને અશ્ર્વેત માટે આ વિરાટ સિદ્ધિ હતી. 1994 થી 99 એમ પાંચ વર્ષ મંડેલાએ દ.આફ્રિકાના પ્રેસિડેન્ટ તરીકે ફરજ નિભાવી. આવી મહાન વિભૂતીને ભારત સરકારે પણ તેના સર્વોેચ્ચ સન્માન `ભારત રત્ન'થી નવાજ્યા છે.

આજે આ નેલ્સન મંડેલા 93 વર્ષની ઉંમરે તબિયત નાદુરસ્ત થતાં હોસ્પિટલમાં એડમિટ છે. ફ્કત આફ્રિકા જ નહીં પણ દુનિયાના તમામ દેશો તેમના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે આ લખાય છે ત્યારે તેમની સ્થિતિ સ્ટેબલ છે અને બની શકે કે આ અંક આપ્ના હાથમાં હોય ત્યારે રજા આપી દીધી હોય. હાલ તો તેમના 95મા જન્મદિવસની ઉજવણીની તૈયારી વિશ્ર્વભરમાં ચાલી રહી છે.

નેલ્સન મંડેલાની વિશેષતા એ છે કે અમાનુષી અત્યાચાર તેમની પર થયા, ગોરાઓએ ગુલામ જેવું વર્તન કરી 27 વર્ષ જેટલો દીર્ઘ સમય તેમને જેલમાં ગોંધી રાખ્યા તેમ છતાં જેલમાંથી છૂટીને તેઓ તમામ કડવાશ ભૂલી ગયા. એક્શન-રિએક્શનની દુનિયામાં દરેક રાજકારણીએ તેમના જીવન પરથી આ પાઠ શીખવા જેવો છે.

અન્યાય, અત્યાચાર અને રંગભેદના લીધે રોપાયા લડતના બીજ
આફ્રિકામાં તે સમયે અશ્ર્વેત, ઈન્ડિયન, કલર્ડઝ માટે જુદાં જુદાં કાયદાઓ હતા. આફ્રિકન માટે વિચિત્રતા એ હતી કે કુટુંબમાં પાંચ બાળકો હોય તો જેની ચામડી કાળી હોય તે જ સાથે રહી શકે. એકાદ બાળક પણ ઓછું કાળું હોય તો તે સાથે ના રહી શકે. રંગભેદનો આવો દાખલો બીજે ક્યાં જોવા મળી શકે ? અશ્ર્વેત, ઈન્ડિયન અને ગોરાઓ માટે રહેવાના, વ્યાપારના વિસ્તાર અલગ. તેમાં એકબીજાના એરિયામાં પ્રવેશબંધી. ગોરાઓ આફ્રિકનોની જમીન ગમે ત્યારે પચાવી પાડતા. અંગ્રેજ વિસ્તારમાં `આફ્રિકન્સ, ઈન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ એલાઉડ'ના બોર્ડ જોવા મળતાં. આફ્રિકન બાળકોની હોસ્પિટલ જુદી, બસ જુદી, સ્કૂલ પણ અલગ. જ્યાં જાય ત્યાં દરેક આફ્રિકને ખિસ્સામાં ઓળખનો પાસ રાખવો પડતો અને દિવસે કે રાત્રે જ્યારે માંગે ત્યારે બતાવવો પડતો. વિરોધ કરનારને સીધા જેલભેગા કરી દેવાતા. આવા અપમાનો, અત્યાચારો અને ધૂત્કાર નેલ્સન મંડેલાના આત્માને ઝંઝોળી નાંખતા. તેમનું દિલ બળવો પોકારતું અને આખરે તેમણે નક્કી કરી લીધું કે મારા દેશ અને દેશબંધુઓને આ ગુલામીમાંથી હું મુક્ત કરાવીશ.

મારી જેલયાત્રા....
 

પોતાના દેશની સ્વતંત્રતા માટે ગોરાઓ વિરુદ્ધ લડીને જેલવાસ ભોગવ્યો હોય એવા દુનિયામાં પુષ્કળ કિસ્સા હશે પણ નેલ્સન મંડેલાની વાત જુદી જ છે. ગાંધીજી સહિત દુનિયાના કોઈપણ દેશના નેતાઓએ જેલવાસ ભોગવ્યો હોય તે તમામ જેલનિવાસનો સરવાળો કરો તો પણ નેલ્સન મંડેલાનો જેલનિવાસ વધુ થાય. તેમણે પોતાની ઓટોબાયોગ્રાફી `લોંગ વોક ટૂ ફ્રીડમ'માં જેલવાસમાં કેવી યાતનાઓ વેઠી હતી તેનો દર્દનાક ચિતાર આપ્યો છે. જુદી જુદી જેલના પ્રસંગો વાંચો તેમના જ શબ્દોમાં....


`પહેલીવાર જેલમાં લઈ ગયા ત્યારે મારાં કપડાં ઉતારી જેલનો યુનિફોર્મ અપાયો જેમાં ટૂંકું પેન્ટ, ખાખી શર્ટ, મોજાં, સેન્ડલ્સ અને કપડાંની ટોપી. એમાં પણ રંગભેદ તો ખરો જ. આ કપડાં ફક્ત આફ્રિકનો માટે જ હતા. '
`જેલમાં મને એકાંતવાસની સજા કરવામાં આવી હતી. એક અંધારી કોટડીમાં 23 કલાક મને બંધ રાખવામાં આવે. ફક્ત અડધો કલાક સવાર અને સાંજે બહાર કાઢવામાં આવતો. એક એક ક્ષણ યુગ જેવડી લાગતી. તેમાં એક નાનકડો બલ્બ સળગતો પણ વાંચવા, લખવા કે બોલવાની મનાઈ. આ પ્રકારની માનસિક સજાથી માણસ પાગલ થઈ જાય. મારી કોટડીમાં ફરતા વંદાઓ જોઈ તેમની સાથે વાત કરવાની ઈચ્છા થતી.'
`મારી પત્ની વીનીને મારી તબિયતની બહુ ચિંતા રહેતી કારણકે તેણે જેલમાં અપાતી યાતનાઓ વિશે સાંભળ્યું હતું. તેણે ખૂબ પ્રયત્નો કર્યા ત્યારે માંડમાંડ જેલમાં મને મળવા માટે તેને રજા મળી. જોકે એ મળવું બહું વિચિત્ર હતું. ત્રણ-ચાર સુપરવાઈઝરની હાજરીમાં જ મળવાનું, આફ્રિકન ભાષા બોલવાની મનાઈ. કૌટુંબિક વાતો સિવાય કાંઈપણ બોલાઈ જાય તો મુલાકાત તુરંત જ પૂરી કરી દેવાતી. વીની સાથે થોડી વાત કરી ત્યાં તો `ટાઈમ અપ' કરતો વોર્ડન આવ્યો. અમારી આંખો ભીની થઈ ગઈ. ત્યારબાદ કેટલાય મહિનાઓ સુધી વીની સાથે કરેલી વાતો જ મનમાં ઘૂમરાઈ રહેતી.'
`રોબેન આઈલેન્ડ પર અમારી પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ આઈલેન્ડ પર શિયાળામાં ઠંડીનો પવન હાડકાં ધ્રુજાવી નાંખતો. કારના ટાયરમાંથી બનેલા જોડાં અને ટૂંકા પેન્ટ અમારો પહેરવેશ. કામમાં મોટા મોટા પથ્થરો તોડવાના, ઊંચકીને ટ્રક ભરવાની. જમવામાં ગંધાતો સૂપ અપાતો. અહીં ચૂનાની ખાણોમાં 13 વર્ષ ગાળ્યા અને ખૂબ આકરી મજૂરી કરવી પડી. ત્રિકમ, પાવડાથી ચૂનાની ખાણમાં ખોદી ખોદીને બાવડા દુ:ખી જતા. સાંજ સુધીમાં ચૂનાથી અમારા શરીર ભરાઈ જતાં.'
`સવારે સાડા પાંચે જેલર અમને જગાડી દેતો પણ સાત વાગ્યા પહેલાં બહાર જવાની છૂટ ન હતી. સેલમાં જ ટોઈલેટ માટે લોખંડની બાલદીમાં પાણી મૂકાતું. તે હજામત અને હાથ ધોવા વાપરવાનું. બહાર આવીને બાલદી ખાલી કરી સેલ ચોખ્ખો રાખવાનો. જો સેલ ચોખ્ખો ન હોય કે કપડાં સરખાં ન પહેર્યાં હોય તો એકાંતવાસ કે ભોજન ન આપવાની સજા મળતી.

નેલ્સન મંડેલાનું લગ્નજીવન અને પરિવાર



નેલ્સન મંડેલાના પ્રથમ લગ્ન ઈવનીલ સાથે 1944માં થયા હતા. તેમને સંતાનમાં બે દીકરાઓ અને બે દીકરીઓ હતી. જોકે મંડેલાની રાજકારણમાં વ્યસ્તતા અને માતૃભૂમિને આઝાદ કરાવવની ઝંખના પાછળ પરિવારને સમય ન આપી શકાતો હોવાથી ઈવનીલ સાથે મનદુ:ખ થયું અને 1957માં આ સંબંધનો અંત આવી ગયો. 1958માં તેમના બીજા લગ્ન વિની માડીકીઝેલા સાથે થયા. મંડેલાને તેની સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ હતો. વિનીએ પણ મંડેલાના કપરા કાળમાં, જેલવાસ દરમિયાન ખૂબ સાથ આપ્યો, બાળકોનો સારી રીતે ઉછેર કર્યો. જોકે વિચિત્રતા એ હતી કે, મંડેલા જેલમાંથી મુક્ત થયા બાદ અંગત કારણોસર બંને 1996માં છૂટા પડ્યા. 80માં વર્ષે નેલ્સન મંડેલાએ ત્રીજા લગ્ન ગ્રાકા માશેલ સાથે કર્યા જે મોઝોમ્બિકના ભૂ.પૂ. પ્રેસિડન્ટની વિધવા હતી.

You can read this article online in Feelings Website at
http://www.feelingsmultimedia.com/uploads/2013/08/1st%20August%202013/

Monday, November 11, 2013

`સ્નેકમેન' ઓસ્ટીન સ્ટીવન્સ

ઝેરી સાપ પકડવા એ ઓસ્ટીન સ્ટીવન્સ માટે ડાબા હાથનો ખેલ છે. દુનિયામાં કોઈ સાપ એવો નથી કે જેને ઓસ્ટીન ના પકડી શકે. સ્નેક્સ, જાયન્ટ લિઝાર્ડ, કોમેડો ડ્રેગન, બર્મીઝ પાયથોન સહિત અનેક જીવોની વિશેષતાઓના ટીવી સેટ્સ પર ઘેરબેઠા દર્શન કરાવતો આ શખ્સ ખરેખર કાબિલેતારીફ છે...

(ઓસ્ટીન સ્ટીવન્સ સાથે ઈ-મેલ દ્વારા થયેલ વાતચીત) 

By Vijay Rohit, Sub Editor, Feelings Magazine 








દેખિયે યે રહા વો સાંપ જિસે મૈં ઢૂંઢ રહા થા, મુઝે ઈસે જલ્દ હી પકડના હોગા વરના યે ભાગ જાયેગા, આહ.. પકડ લિયા.... બહોત ગુસ્સે મેં હૈ યે, મેરા પકડના ઈસકો અચ્છા નહીં લગા હૈ..યે દેખો વો ફન ફૈલાકર અપ્ને ગુસ્સે કા ઈઝહાર કર રહા હૈ... મુજે જરા સાવધાની બરતની પડેગી.. યે દુનિયા કે સબસે જહરીલે સાંપો મેં સે એક હૈ.. ઈસકા કલર દેખિયે કિતના ખૂબસુરત હૈ.. બઢિયા, અબ મુજે ઈસકી કુછ તસવીરે લેની હૈ, યે બહુત હી લાજવાબ સાંપ હૈ... અબ યે મુજસે કોઈ ખતરા મહેસૂસ નહીં કર રહા હૈ ઈસલિયે શાંત હો ગયા હૈ'... ફોટોગ્રાફ પાડતાં પાડતાં સાપ્ના કલરથી માંડી તેના ઝેર સહિત એ સાપ્ની તમામ લાક્ષણિકતાઓ, તેની જાતિ-પ્રજાતિ અને તેની જન્મકુંડળી કાઢી આબેહૂબ વર્ણન (આપણે ત્યાં હિન્દીમાં ડબ કરી દર્શાવવામાં આવે છે) કરી બતાવનાર આ વ્યક્તિને આપ જો વાઈલ્ડ લાઈફ અને નેચર ફોટોગ્રાફના પ્રેમી હશો તો એનિમલ પ્લેનેટ, ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલ પર નિયમિત જોતાં જ હશો. રોજ આવા હેરતઅંગેજ કારનામા કરી બતાવનાર આ શખ્સનું નામ છે...ઓસ્ટીન સ્ટીવન્સ.. પણ દુનિયા એને `સ્નેકમેન' તરીકે ઓળખે છે. ઓસ્ટીન સ્ટીવન્સ એ હર્પેટોલોજિસ્ટ (સાપ્ના જીવન વિશેના અભ્યાસી) છે અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ડોક્યુમેન્ટ્રીઝ અને ફિલ્મમેકર તેમજ હોસ્ટ તરીકે વિખ્યાત છે.

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયામાં ઓસ્ટીન સ્ટીવન્સનો જન્મ થયો હતો અને 12 વર્ષની કિશોરાવસ્થાથી જ સાપ્ના પ્રેમમાં પડી ગયા હતા. સ્કૂલમાં અભ્યાસ કરવાની ઉંમરે સૌ પ્રથમવાર સાપ પકડીને ઘરે લાવતાં તેમના પિતા પણ નારાજ થયા હતા અને જો ફરીવાર પક્ડયો તો બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દઈશ એવી ધમકી પણ મળી હતી.  ઓસ્ટીન સ્ટીવન્સ એ વિશે કહે છે કે, `સાપ તરફ મારું આકર્ષણ સમજાવવું ખૂબ અઘરું છે. કદાચ ઘણા કારણો હોઈ શકે છે. સાપ જે અસાધારણ રીતે ખસે છે, તેનો કલર અને ટેક્સચર અને કાંઈક ભેદભરમ જેવી એની જીવનશૈલી વગેરે. મને સાપ પ્રત્યે આકર્ષણ થવામાં કદાચ આમાંથી કોઈ એક અથવા બધા કારણો હોઈ શકે છે.'

પ્રિટોરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ ઓસ્ટીન દ.આફ્રિકન આર્મીમાં જોડાય છે. અહીં પણ તેમની સાપ પકડવાની આવડતને કારણે મિલિટ્રી ઝોનમાં ટેન્ટ, લશ્કરી સાધનોના ગોડાઉન સહિત જ્યાં પણ સાપ હોય તેવી જગ્યાએ સાપ પકડીને કાઢવાની જવાબદારી મળે છે. અહીં જ સૌ પ્રથમવાર ઓસ્ટીનને પફ એડૉર નામનો ખૂબ ઝેરી સાપ કરડી જાય છે. જીવન સામે જોખમ ઊભું થઈ જાય છે ત્યારે ડોક્ટર્સની ત્રણ મહિનાની મહેનત બાદ માંડમાંડ તેમનો હાથ અને જીવ બંને બચી જાય છે.

આ દરમિયાન સાપ પકડવાની આવડત અને કુનેહને કારણે ઓસ્ટીનની ખ્યાતિ નજીકના વિસ્તાર સુધી તો પહોંચી જ ગઈ હતી. ટૂંક સમયમાં જ દ.આફ્રિકાના ટ્રાન્સવાલ સ્નેક પાર્ક તરફથી ઓસ્ટીનને બોલાવવામાં આવ્યા. અહીં તેમને સાપ્ના પ્રશિક્ષક-દેખરેખ રાખનાર નિષ્ણાત તરીકે એક વ્યક્તિની જરૂર હતી. ઓસ્ટીનમાં તેમને એ બધા જ ગુણ દેખાયા એટલે હર્પેટોલોજિકલની ટ્રેનિંગ બાદ તેમણે અહીં ક્યુરેટર તરીકેની જવાબદારી સંભાળી. સાપ સાથે રહેવું એ તેમનું ખરેખર મનગમતું કામ હતું એટલે અહીંથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. અહીં સાપ સાથે તેમનું રોજિંદુ જીવન શરૂ થયું. દરેક પ્રકારના સાપ્ની યોગ્ય સંભાળ લેવી, ઝૂ જોવા આવનાર દરેક લોકોને તે બતાવવા, તેમના વિશે સમજાવવું ઓસ્ટીનને ગમતું. અહીં સાપ્ના ડેમોન્સ્ટ્રેશનને લગતા પબ્લિક શો પણ તે કરતા. ટ્રાન્સવાલ સ્નેક પાર્કમાં ઓસ્ટીન 6 વર્ષ રહ્યા અને એ દરમિયાન પ્રથમવાર સાપ્ની દુનિયા વિશેના ત્રણ ટીવી શો હોસ્ટ કરીને પ્રથમવાર ટેલિવિઝિનની દુનિયામાં એન્ટ્રી કરી.ત્યારબાદ ટ્રાન્સવાલને અલવિદા કરી ઓસ્ટીને જર્મનીમાં ટ્રાવેલ કર્યું. અહીં તેમણે સાપ્નું એક ઈન્સ્ટિટ્યૂટ બનાવવા ડિઝાઈન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને કાર્યાન્વિત કરવામાં ખૂબ મદદ કરી. ત્યારબાદ ઓસ્ટીન ફરી એકવાર દ.આફ્રિકા પરત ફર્યા અને હાર્ટબીસ્પૂર્ટ ડેમ સ્નેક પાર્ક ખાતે ક્યુરેટર તરીકે કામ કર્યું. અહીં જ તેમણે 3 ડ 4 મીટરના કાચના પીંજરામાં 36 ઝેરીલા સાપો સાથે 107 દિવસ-રાત રહીને વિશ્વવિક્રમ બનાવ્યો હતો.

ઓસ્ટીનને પહેલેથી જ વાઈલ્ડ લાઈફ અને વિવિધ સર્પોને જોવાનું કુતૂહલ રહેતું અને નામિબીયા આ માટેની તમામ શક્યતાઓથી ભરપૂર હતું. આથી ઓસ્ટીન નામિબીયા આવી ગયા. અહીનું રણ અને વાઈલ્ડ લાઈફ જોઈને ઓસ્ટીનનું આવવું સફળ થયું હતું. ઓસ્ટીને અહીંથી જ લખવાનો અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ ડેવલપ કર્યો હતો. થોડા જ સમયમાં દુનિયાના વિવિધ વાઈલ્ડ લાઈફ મેગેઝિન્સમાં તેમની પોતાની એક્સક્લુઝિવ તસવીર સાથેના લગભગ 150 જેટલા આર્ટિકલ પ્રકાશિત થઈ ચૂક્યા હતા.

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાંથી ધીમે ધીમે ઓસ્ટીને વાઈલ્ડ લાઈફ ડોક્યુમેન્ટ્રીઝ અને ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. કેટલાક વાઈલ્ડ લાઈફ ફિલ્મમેકર્સ સાથે થોડો સમય કામ કર્યા બાદ ઓસ્ટીને 16 એમએમનો કેમેરો ખરીદી 1998માં એનડીઆર ટેલિવિઝન, જર્મની માટે સાપ્ની દુનિયા વિશે પ્રથમ ફિલ્મ બનાવી. આ ફિલ્મ ફ્રાન્સ ખાતે યોજાયેલ 14મા ગ્રીનોબેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ નેચર એન્ડ એન્વાયરન્મેન્ટ માટે નોમિનેટ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટીન સ્ટીવન્સે પાછું વળીને જોયું નથી અને અઢળક ડોક્યુમેન્ટ્રીઝ, ટીવી શો અને ફિલ્મો બનાવી. એની શરૂઆત થઈ નેશનલ જ્યોગ્રાફિક ચેનલથી, જ્યાં ઓસ્ટીને `ડ્રેગન ઓફ ધ નામિબ' ફિલ્મ બનાવી અને પ્રોડ્યુસ કરી. ઓસ્ટીને લગભગ 8 મહિના જેટલો સમયગાળો નામિબીયાના ડેઝર્ટમાં એકાંતવાસ જેવો વીતાવ્યો. અહીં તેણે કેટલાય પ્રકારના સાપ અને ડ્રેગનને જોયા, પકડ્યા અને તેના વિશે માહિતી આપતી ફિલ્મ પણ બનાવી જે સમગ્ર વિશ્ર્વમાં ખૂબ લોકપ્રિય બની. `ડ્રેગન્સ ઓફ નામિબ'ની અપાર લોકપ્રિયતા જોઈને માર્ચ 2001માં યુકે સ્થિત ટાઈગ્રેસ પ્રોડક્શને `સેવન ડેડલી સ્ટ્રાઈક્સ' નામની ફિલ્મ બનાવવા ઓસ્ટીનનો સંપર્ક સાધ્યો. આ ફિલ્મના કારણે ઓસ્ટીન આફ્રિકા ખંડના કેટલાય અજાણ્યા સ્થળો અને જીવોના સંપર્કમાં આવ્યા. `સેવન ડેડલી સ્ટ્રાઈક્સ'ની ભવ્ય સફળતાએ યુએસએની એનિમલ પ્લેનેટનું ધ્યાન ખેંચ્યું. 2002 થી 2005માં શૂટ થયેલ 13 ભાગની આ સિરિઝ યુએસએમાં `ઓસ્ટીન સ્ટીવન્સ સ્નેક માસ્ટર' અને વિશ્ર્વના અન્ય દેશોમાં `ઓસ્ટીન સ્ટીવન્સ મોસ્ટ ડેન્જરસ' તેમજ `ઓસ્ટીન સ્ટીવન્સ એડવેન્ચર્સ' તરીકે પ્રસારિત થઈ. જેમાં દુનિયાના સૌથી ખતરનાક, ઝેરી, સૌથી મોટા અને બ્યુટિફૂલ સાપ્ની શોધ કરી એના વિશે અદ્ભુત માહિતી અપાય છે.

એનિમલ પ્લેનેટ અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ બાદ હવે મોસ્ટ પોપ્યુલર ડિસ્કવરી ચેનલનો વારો હતો. ઓસ્ટીને સીનેફ્લીક્સ કેેનેડા, યુકે ચેનલ ફાઈવ, ટાઈગ્રેસ પ્રોડક્શન અને ડિસ્કવરી સાથે મળીને `ઓસ્ટીન સ્ટીવન્સ એડવેન્ચર્સ 2' નામની સિરીઝ રજૂ કરી. જેમાં સાપ્ની સાથે સાથે દુનિયાના કેટલાક અસાધારણ જીવોની લાઈફસ્ટાઈલ અને બિહેવીયર સામેલ હતા. આમાંના કેટલાક પ્રાણીઓ સાથેનું તેમનું એન્કાઉન્ટર તો રીતસર હૃદયના ધબકારા બંધ થઈ જાય એટલું જબરજસ્ત હતું. ઓસ્ટીન વાઈલ્ડ લાઈફના સંવર્ધન અને બચાવ ઝુંબેશમાં ખૂબ સક્રિય છે. જીવ જોખમમાં મૂકીને પણ આવા જાનલેવા જીવો વિશે તેમણે આપેલી ડોક્યુમેન્ટ્રીઝ, ફિલ્મ અને માહિતીના કારણે જ આજે વાઈલ્ડ લાઈફ વિશે દુનિયાને ઘણું નવું જાણવા મળ્યું છે. આથી જ તેેમને વિશ્ર્વભરમાંથી ઘણાં માન-સન્માન મળ્યાં છે. જોકે ઓસ્ટીન સ્ટીવન્સ તો કહે છે કે, `મારા માટે તો દરેક જીવનું સંરક્ષણ જ સૌથી મોટું ઈનામ છે'. હોલિવૂડ હીરો જેવા લાગતા ઓસ્ટીનના પરાક્રમો જોઈ કોઈપણ વ્યક્તિ તેમની ઉંમરનો અંદાજો 30-40 વર્ષ લગાવે છે, પણ હકીકત એ છે કે તે 63 વર્ષના તરવરાટ-ભર્યા, સ્ફૂર્તિલા અને પૅશન ધરાવનાર `યુવાન' છે. ઓસ્ટીન તેમના બીજા પુસ્તક `ધ લાસ્ટ સ્નેકમેન' બાદ હવે ત્રીજા પુસ્તકની તૈયારીમાં વ્યસ્ત છે.

 

ઓસ્ટ્રેલિયન જાયન્ટ લિઝાર્ડને પકડવા ખૂબ મહેનત કરવી પડી



ઓસ્ટ્રેલિયન જાયન્ટ લિઝાર્ડ વિશે ખૂબ સાંભળ્યું હતું પણ ઓસ્ટીન સ્ટીવન્સને તે રૂબરૂ જોવી હતી, તેની ફોટોગ્રાફી કરવી હતી. આ જાયન્ટ લિઝાર્ડ ઓસ્ટ્રેલિયન ડેઝર્ટમાં જોવા મળે છે જેથી ઓસ્ટીન તેની સફારી(એસયુવી) અને પાછળ ટ્રોલીમાં બાઈક લઈને જાયન્ટ લિઝાર્ડને શોધવા નીકળી પડે છે. ઓસ્ટ્રેલિયન રણમાં પહોંચ્યા બાદ એના પગલાં જોતાં જોતાં ઓસ્ટીન તેની સંભવિત ગુફા જેવા દર સુધી પહોંચી જાય છે છતાં લિઝાર્ડનો પતો નથી મળતો. એક સપ્તાહ એની રાહ જુએ છે પણ લિઝાર્ડના અણસાર ન મળતાં એ બીજો વિકલ્પ અજમાવે છે. એ દરની બહાર એક મૃત કાંગારુ બહાર લાવી મૂકે છે જેથી એની ગંધથી આકર્ષાઈને બહાર આવે પણ હજી લિઝાર્ડ મચક નથી આપતી. આ દરમિયાન એ જીપ કેટલીય દૂર છોડી આવ્યો હોય છે અને અહીં બાઈક પર ફરે છે અને ક્યાંક અચાનક જાયન્ટ લિઝાર્ડ દોડતી નજરે પડે છે અને ચિત્તાની સ્પીડે એ ચાલુ બાઈક પરથી કૂદીને લિઝાર્ડની પાછળ દોડે છે. એ ગજબની સ્ફૂર્તિ સાથે દોડી રહી છે પણ ઓસ્ટીન એનો પીછો કરે છે અને એક જગ્યાએ એની પર રીતસર ધાબો બોલાવી ગળાથી પકડી લે છે. પછી એઝ યુઝવલ એ તેને વશમાં કરી એની આખી જન્મકુંડળી કહી આપે છે.

 

ઓસ્ટીન સ્ટીવન્સના જોવાલાયક એન્કાઉન્ટર


1) ઈન સર્ચ ઓફ જાયન્ટ ઓસ્ટ્રેલિયન લિઝાર્ડ
 2) ઈન સર્ચ ઓફ બર્મિઝ પાયથોન ઈન એમેઝોન
 3) ઈન સર્ચ ઓફ કોમોડો ડ્રેગન
 4) ઈન સર્ચ ઓફ કિંગ કોબ્રા
 5) ધ સ્નેક ધેટ કીલ્ડ ક્લિઓપેટ્રા
 6) વેલી ઓફ ધ સ્નેક્સ
 7) ઈન સર્ચ ઓફ દ ફ્લાઈંગ સ્નેક્સ
 8) ફિલ્મ : ડ્રેગન્સ ઓફ દ નામિબ
 9) ફિલ્મ : સેવન ડેડલી સ્ટ્રાઈક્સ
10) ગ્રીઝલી બીઅર ફેસ-ઓફ

શું છે ઓસ્ટીન સ્ટીવન્સના શોની વિશેષતા ?

દરેક એપિસોડમાં એ કોઈ વિશિષ્ટ સાપ કે પ્રાણીને શોધવા નીકળે છે,એમના હાથમાં સાપ્ને કંટ્રોલ કરવા માટે બનાવેલ એક સાધન અને પાછળ એક બેગ હોય છે. શોની શરૂઆતમાં એ સાપ અથવા પ્રાણીની વિશેષતા શું છે, અહીં રહેવા પાછળ શું કારણ છે, તેની બાયોલોજિકલ આઈડેન્ટિફિકેશન શું છે એ દરેક વાતની સાયન્ટિફીકલી સમજ આપે છે અને શોધ પણ ચાલુ રાખે છે. રસ્તામાં એમને મળતાં નિશાન અને ચિહ્નોને ધ્યાન રાખે છે, અન્ય પશુ-પંખીઓની હરકતને ધ્યાનમાં લે છે અને તેનો ઉપયોગ કરે છે. જે પ્રાણીને કે સાપ્ને શોધવા નીકળે એના સિવાય પણ બીજો કોઈ સાપ કે જીવ દેખાય તો તેને પકડી તેની લાક્ષણિક અદાઓના ફોટા પાડી દર્શકોને મોજ કરાવે છે. તે એમેઝોન નદીના સાંકડા પટમાં ડ્રેગનને પકડવા સાવ છીછરા અને ગંદા પાણીમાં પણ છેક ઊંડે ઊતરી જાય છે તો ક્યાંક સડસડાટ ઝાડ પર ચડીને બખોલમાં હાથ નાખી સાપ કાઢી લાવે છે. અવાવરુ જગ્યા, ગુફા, દર જ્યાં કોઈ ક્યારેય જતું ના હોય ત્યાં એ સિફતતાથી પહોંચી જાય છે. એ દરમાં હાથ કે પગ નાંખીને પ્રાણીની હાજરી ચેક કરે ત્યારે આપણા જીવ અધ્ધર થઈ જાય છે. કોમોડો ડ્રેગન કે જાયન્ટ લિઝાર્ડ પર એ તૂટી પડીને પકડી લે ત્યારે સૌના શ્ર્વાસ અટકી જાય છે. સાપ તો એટલી સહજતાથી પકડે છે કે જાણે કોઈ બાળક રમકડું રમતું હોય. ઉડતા સાપ્ને પકડવા એ નીચે કાંઈ પણ જોયા વિના પડતાં-આખડતાં પણ પીછો કરી એને પકડીને જ ઝંપે છે. વાઈલ્ડ લાઈફ અને રિયાલીટીના અદ્ભુત કોકટેલને કારણે જ ઓસ્ટીન સ્ટીવન્સના શો પોપ્યુલર બન્યાં છે.



ખૂબ ઝેરી એવા 18 કોબ્રા સહિત 36 સર્પોની વચ્ચેના એ 107 દિવસ-રાત...

ઓસ્ટીન સ્ટીવન્સના શબ્દોમાં...


હું જ્યારે હાર્ટબીસ્પૂર્ટ પાર્ક ખાતે સાપ્ના ક્યુરેટર તરીકે હતો ત્યારે એ પાર્કમાં કૈસર નામે એક નર ગોરિલા હતો. આ ગોરિલા એ પૃથ્વી પરથી ઝડપથી નાશ પામી રહેલી પ્રજાતિ છે. મારે ગોરિલાની પ્રજાતિને બચાવવા તેના વિશે લોકોને જાણકારી મળે અને કોઈ ફીમેલ ગોરિલા પાર્ટનર લાવી શકાય એ માટે ફંડ એકઠું કરવા કેમ્પેઈન કરવું હતું. આ ગોલ સિદ્ધ કરવા મેં વિશ્ર્વના સૌથી ઝેરીલા સાપો સાથે કાચના પીંજરામાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું જેથી દુનિયાભરમાં એની ચર્ચા થાય, મીડિયામાં પણ મુદ્દો હાઈલાઈટ થાય અને ગોરિલાનું અસ્તિત્વ ખતરામાં છે એ વિશે દુનિયામાં જાણકારી ફેલાય.
જોકે આ કામ વિચારીએ છે તેટલું સરળ ન હતું. હું જાણતો હતો આ કાર્યમાં મારી જાનને પણ ખતરો હતો પણ હું એ કામ માટે તૈયાર હતો. આ  `સ્નેક-સીટ ઈન' પ્રોજેક્ટમાં સાપ સાથે મારે રહેવાનું જે પીંજરું હતું એ 10 ફૂટ બાય 13 ફૂટ (3 ડ 4 મીટર)નું હતું. જેમાં આફ્રિકાના સૌથી ડેન્જરસ, ઝેરી એવા 36 સાપ હતા જેમાં બ્લેક મામ્બાસ અને 18 કોબ્રાનો પણ સમાવેશ થાય છે. મારા અનુભવની વાત કરું તો અહીં રોજ પ્રેસ-મીડિયા અને હજારો દર્શકો ગ્લાસકેજમાં મને જોવા ઉમટી પડતાં જેથી પ્રાઈવસી ક્યારેય ન મળે. ખાસ મુશ્કેલી સૂતી વખતે થતી જ્યારે 18 કોબ્રા મારા બેડની મોટાભાગની જગ્યા કવર કરી લેતા. મારે લગભગ ટૂંટીયું વાળીને સૂઈ જવું પડતું. ઊંઘ પણ લગભગ અડધા કલાકની જ રાખતો અને જરાપણ હલનચલન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડતું. ક્યારેક ટ્રાઉઝરમાં પણ કોબ્રા સાપ ઘૂસી જતાં છતાં હું ધૈર્ય જાળવી રાખતો. સૌથી મોટી મુશ્કેલી આ સાપ્ને જ્યારે ખોરાક (ઉંદરો) આપવામાં આવતો ત્યારે થતી હતી. સાપ્ની ઘ્રાણેન્દ્રિય ખૂબ પાવરફૂલ હોય છે. ઉંદરની ગંધથી તેઓ ખોરાક માટે ઉત્તેજિત થઈ જતાં અને બધા જ સાપ એકસામટા એને ઝડપી લેવા તુટી પડતાં જેથી ક્યારેક ઉંદરની જગ્યાએ ભૂલથી મને પણ કરડી જતાં.
આમ છતાં આ મારા માટે એક અવિસ્મરણીય અનુભવ હતો. અત્યંત ઝેરી અને આટલા બધા સાપ્ની વચ્ચે રહેવાના કારણે મને  તેમની દિનચર્યા અને તેમના જીવન વિશે ઘણું જાણવા મળ્યું જે કદાચ બહુ ઓછા હર્પેટોલોજિસ્ટને જાણવા મળતું હોય છે. અહીં મને દરેક સાપ્ની પસંદગી-નાપસંદગી અને તેમની બુદ્ધિક્ષમતા વિશે પણ ખ્યાલ આવ્યો. તેમણે મને અપ્નાવી લીધો હતો એટલું જ નહીં પણ તેમને જ્યારે ખાતરી થઈ ગઈ કે હું તેમના માટે ખતરો નથી ત્યારે તેમના રૂટિનમાં પણ મને સામેલ કરી દીધો હતો. જોકે પહેલાં 6 સપ્તાહ ખૂબ મુશ્કેલીવાળા હતા જ્યારે આ બધા સાપે અને મારે સાથે રહેવા માટે ટેવાવાનું હતું. એક વખત આ મુશ્કેલીભર્યો પિરિયડ પૂરો થઈ ગયા બાદ આ બધા જ સાપો અને હું જાણે એક ડીલ કર્યું હોય તે રીતે રહેતા હતા. કેટલાક સાપ તો મારાથી એટલા ટેવાઈ ગયા હતા અથવા ફ્રેન્ડલી બની ગયા હતા કે ક્યારેક મારાથી ભૂલથી પણ પગ મૂકાઈ જાય કે પીઠ નીચે દબાઈ જાય તો પણ ગજબની સહનશક્તિ બતાવતા હતા.
આમ જોવા જઈએ તો આ સર્પોએ મને દિવસમાં દસ વાર દંશ મારવા જોઈએ એની જગ્યાએ તેઓ વોર્નિંગ રૂપે ફૂંકાર કરી મને જાણ કરતાં કે હું કાંઈક ખોટું કરી રહ્યો છું. સાપ્ની આવી સહનશક્તિ જોઈને હું હેરત પામી જતો. જોકે 96માં દિવસે મને કોબ્રાએ જબરજસ્ત ડંખ માર્યો હતો. આમ છતાં મારે કહેવું જોઈએ કે એ સાપ પર આવેલ અતિશય પ્રેશર અને સ્ટ્રેસના કારણે જ આવું થયું હતું. યુએસએના એક મેગેઝિન માટે ફોટોસેશન થઈ રહ્યું હતું અને અતિશય લાઈટીંગ તેમજ ફ્લેશના કારણે સાપ્ની સહનશક્તિની મર્યાદા તૂટી હતી અને મારે તેનો ભોગ બનવું પડ્યું હતું. જોકે એ છતાં મેં પીંજરું છોડ્યું નહીં અને તેમાં જ સારવાર લીધી અને એ સમય દરમિયાન તબિયત પણ થોડી લથડી હતી. આખરે 107 દિવસ અને રાત આ 36 સૌથી ઝેરી સાપ સાથે વિતાવીને બહાર નીકળ્યો ત્યારે મેં સૌથી લાંબા સમય સુધી ઝેરી સાપ સાથે રહેવાનો ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી એક નવો વિક્રમ નોંધાવ્યો હતો. મારા આ અનુભવોને મેં મારા પુસ્તક `સ્નેકસ ઈન માય બેડ'માં વિસ્તૃત રીતે આલેખ્યા છે.

 

 

ઈ-મેલ એન્કાઉન્ટર  વિથ ઓસ્ટીન સ્ટીવન્સ


ફીલિંગ્સ : શું તમને આવા ઝેરી સાપ અને અન્ય જીવોથી ક્યારેય ડર નથી લાગતો ?
ઓસ્ટીન સ્ટીવન્સ : મને પહેલેથી જ સાપ પ્રત્યે લગાવ રહ્યો છે. હું કોઈપણ અત્યંત ઝેરી અને ગુસ્સાવાળો સાપ પણ પળવારમાં પકડી શકું છું. કદાચ સાપ જેવા જીવને સારી રીતે હેન્ડલ કરવાની અને સમજવાની મારી આવડત છે. સાપ્ને જ્યારે સમજાઈ જાય કે હું તેને કોઈ નુક્સાન પહોંચાડવા નથી માંગતો ત્યારે તે શાંત થઈ જાય છે અને મને મારું કામ કરવા દે છે.
ફીલિંગ્સ : કોઈક એવો બનાવ બન્યો છે જેમાં તમે ખરાબ રીતે ફસાઈ ગયા હોવ?
ઓસ્ટીન સ્ટીવન્સ : એડવેન્ચર્સ સિરિઝ દરમિયાન અમે કેનેડાના ગ્રીઝલી બિયર્સ(રીંછ) પર શૂટ કરી રહ્યાં હતા. અચાનક હું મારી ટીમથી છૂટો પડી ગયો અને ત્યાં જ મેં જોયું તો માદા રીંછ અને તેના બચ્ચાંની વચ્ચે હું ઊભો હતો. રીંછનું બચ્ચું જે આઠ ફીટ ઊંચું હતું તે મારાથી થોડા મીટર જ દૂર હતું અને મારી સામે ધારીને જોતું હતું. અચાનક બંને મારી તરફ આવવા માંડ્યા. ત્યારે કાંઈપણ બની શક્યું હોત. જોકે મારી ખુશનસીબી કે એ મને અવગણીને ચાલ્યા ગયા. હું રીંછને સૌથી ડેન્જરસ પ્રાણીમાં ટોપ પર મૂકું છું એનું એક કારણ એ છે કે તે અનપ્રીડિક્ટેબલ છે. હું દરેક પ્રાણીનો મૂડ પારખી શકું છું પણ રીંછ વિશે કહેવું અશક્ય છે.
એવી જ રીતે શ્રીલંકામાં લાંબા દાંતવાળા હાથીનું શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે હું અમારા ક્રૂ સાથે હાથીઓની ઝૂંડની ખૂબ નજીક પહોંચી ગયો હતો. એ દરમિયાન બે હાથી વચ્ચે ખૂબ લડાઈ થઈ અને તેઓ લડતાં-લડતાં સીધા મારી ખૂબ નજીક આવી ગયા હતા. મારા કેમેરામેન અને સાઉન્ડમેન ઝાડની પાછળ સંતાઈ ગયા અને હું ફક્ત એક તૂટેલી ડાળીના સહારે લપાઈને બેસી ગયો અને થેન્ક ગોડ બચી ગયો.
ફીલિંગ્સ : તમને લાગે છે કે કોઈ દેશ કે ખંડની વાઈલ્ડ લાઈફ વિશે હજી વધારે એક્સપ્લોર કરવાની જરૂર છે ?
ઓસ્ટીન સ્ટીવન્સ : મારા ખ્યાલથી એશિયાના જંગલો એ વિશાળ સાપ માટેનું હોમટાઉન છે. મેં સૌથી લાંબો 21 ફૂટનો સાપ પકડ્યો છે. મને આનાથી પણ વધારે મોટો સાપ પકડવો છે અને કદાચ એ અહીં મળી શકે. આ ઉપરાંત એશિયા ખંડની વાઈલ્ડ લાઈફ પર ફિલ્મ પણ બનાવવી છે.
ફીલિંગ્સ : કયા શો એ તમને સૌથી વધુ સંતોષ આપ્યો છે ?
ઓસ્ટીન સ્ટીવન્સ : દરેક એપિસોડ ગમતો જ હોય તેમ છતાં `સેવન ડેડલી સ્ટ્રાઈક્સ'જ્યારે પહેલીવાર શૂટ થયું ત્યારે એ મારા માટે સંતોષજનક ક્ષણ હતી કારણકે એમાં હું હતો જે પ્રથમવાર દુુનિયા સામે આવીને બતાવી રહ્યો હતો કે જુઓ હું શું કરી શકું છું. એનો કન્સેપ્ટ, માર્કેટ અને આઈડીયા મેં ડેવલપ કર્યા હતા અને સફળ પણ થયા. ત્યાં સુધી મારી ઓળખ સ્નેકમેન પૂરતી જ મર્યાદિત હતી. હવે મારી એન્ટરટેઈનમેન્ટ વેલ્યુ પણ લોકોને સમજાઈ હતી. અચાનક જ હું સેલિબ્રિટી સ્ટેટસમાં આવી ગયો હતો. એક કલાકના એપિસોડે મારી જિંદગી બદલી નાંખી હતી.
ફીલિંગ્સ : તમે કયા પ્રકારના કેમેરા વાપરો છો ? ફોટોગ્રાફી માટે ક્યારેય ટ્રેનિંગ લીધી છે
ઓસ્ટીન સ્ટીવન્સ : કોઈપણ આર્ટ શીખવા માટે મેં આમ તો કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી નથી પણ હા ઈન્સ્ટીંક્ટને વળગી રહું છું અને જ્યાં સુધી હું સંપૂર્ણ સફળતા મેળવતો નથી ત્યાં સુધી છોડતો નથી. મેં જનરલ કેમેરાથી શરૂઆત કરી હતી પણ હું કેનન કેમેરોનો મોટો ફેન છું આથી કેનન અને તેના જ લેન્સ યુઝ કરું છું.

 

એમી સાથેના મેરેજની અનોખી લવસ્ટોરી....





ઓસ્ટ્રેલિયન લેડી એમી, ઓસ્ટીનની ફેન હતી અને તેમના શો જોઈને નિયમિત પત્રો મોકલતી. ઓસ્ટીન જ્યારે એના પત્રો વાંચતા ત્યારે લાગતું કે એમીના પત્રોમાં બીજા કરતાં કાંઈક વિશેષ છે. ઓસ્ટીનને લાગ્યું કે એમીને ખરેખર હર્પેટોલોજી અને વાઈલ્ડ લાઈફમાં રસ છે જેથી તેને પર્સનલ ઈમેલ એડ્રેસ આપ્યું. ત્યારબાદ ઈમેલથી નિયમિત સંપર્કમાં રહેતાં બંનેએ જાણ્યું કે જીવન વિશેના તેમના વિચારોમાં ઘણી સામ્યતા છે. છ મહિનાના ઈમેલ વ્યવહાર બાદ ઓસ્ટીને એમીને નામિબીયા બોલાવી. એમી તો આ મોકાની રાહ જ જોતી હતી અને તુરત જ સીડનીથી નામિબીયા 12 દિવસ માટે પહોંચી ગઈ. જોકે ત્યારબાદ એમી ત્યાં 60 દિવસ રહી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને ડિસેમ્બર, 2007માં બંનેએ મેરેજ કર્યા. એમી નામિબીયામાં રહી એ સમય દરમિયાન ઓસ્ટીન સાથે ફરી અને જેટલા વાઈલ્ડ લાઈફ અને ઝેરી સાપ્ના સંપર્કમાં આવ્યા ત્યારે પણ એની જરાય ગભરાઈ ન હતી બલ્કે આ જોઈને એને વિશેષ આનંદ થતો. ઓસ્ટીન કહે છે, `મને લાગે છે તેણે મોકલાવેલ સાદો પત્ર અને તેના સાપ સાથેનો ફોટોગ્રાફ મને સ્પર્શી ગયો હતો અને આ લેટરે જ અમારી દુનિયા બદલી નાંખી.' હાલ ઓસ્ટીન અને એમી બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે અને એમી અજગરની ક્યુરેટર પણ છે.

------------------------------------------------------------------------------------------------------------

To see the Austin Stevens Amazing Video visit this link

આ રહી ઓસ્ટીન સ્ટીવન્સના ફેસબુક પેજની લીંક..
https://www.facebook.com/AustinStevensAdventurer

You Tube Link of Austin Stevens Episode

1) Austin Stevens In Search of the Giant Lizard

2) Austin Stevens In Search of the Komodo Dragon

3) Austin Stevens - The Snake That Killed Cleopatra



ઓસ્ટીન સ્ટીવન્સની વેબસાઈટ

http://www.austinstevens.net/index.php?option=com_g2bridge&view=gallery&Itemid=21

 ફીલિંગ્સની વેબસાઈટની લિંક જ્યાં તમે ઓનલાઈન આર્ટિકલ વાંચી શકશો.
https://www.feelingsmultimedia.com/





Monday, March 4, 2013

શ્રધ્ધા

કાંઈ કહેવાનું નથી મારે હવે
ભૂલ જેની હોય તે માને હવે

કાળ રાત્રીને હરાવી નાંખશે
રાખ શ્રધ્ધા તું દીપક માટે હવે

ફૂલને મળ્યો નિસાસો માળીનો
ખીલશે કે નહીં ખુદા જાણે હવે

જેમની સૌ માંગ મે પૂરી કરી
એ જ ઘરની બ્હાર લો કાઢે હવે

વાત કરવાની હજી ત્રેવડ નથી
એ બધા પાછા મને ડારે હવે

રોજ લાલચ, એષણા, ધમકી મળે
કેવી રીતે વશ થવું ફાવે હવે

ગાલગાગા ગાલગાગા ગાલગા

- વિજય રોહિત, M : 740 5656 870

Friday, January 25, 2013

નરેન્દ્ર મોદી - આપ ચાહી શકો, ધિક્કારી શકો પણ અવગણી તો ના જ શકો...

 નરેન્દ્ર મોદી 

આપ ચાહી શકો, ધિક્કારી શકો 
પણ અવગણી તો ના જ શકો...


Written by - Vijay Rohit, 
Sub Editor, Feelings, Baroda
M : 0740 5656 870
Share this article only with 
my permission & Name

 


મધ્યમવર્ગના સામાન્ય કુટંબમાંથી આવેલ આ વ્યક્તિ રાજકારણમાં પ્રવેશ કરતાંની સાથે જ છવાઈ જાય છે. તેમની વાણી જનતાને મંત્રમુગ્ધ કરી દે છે. તેમની કાર્યશૈલી બધાથી હટ કે છે. કોઈ તેમને હિન્દુત્વની છબી માને છે, કોઈ તેમને એરોગેન્ટ કહે છે તો કોઈ તેમને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર શપથ લેનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી હાલ તો વડાપ્રધાનની રેસમાં અગ્રેસર છે પણ હવે તેમનો સામનો પોતાના લોકો સાથે પણ છે અને વિરોધીઓની તો ફોજ છે. મહત્વની વાત એ છે કે દેશની મહદ્ અંશે જનતા ઈચ્છે છે કે મોદી ફાઈનલ રેસ પણ જીતીને અવ્વલ જ આવે...!




Adore or Abhor him, but you can't ignor him.
હાલમાં જ સંપ્ન્ન થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ્નો ભગવો લહેરાવી સત્તાની હેટ્રિક રચનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ઉપરોક્ત સ્લોગન ઘણું જાણીતું છે. સરળ ભાષામાં કહીએ તો નરેન્દ્ર મોદીને તમે ચાહી શકો છો, વખાણી શકો છો, પ્રશંસા કરી શકો છો, ધિક્કારી શકો છો, તિરસ્કાર કરી શકો છો પણ તેમની અવગણના તો હરગીઝ ના જ કરી શકો.

બિલકુલ સાચી વાત... નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ પણ અવગણી નથી શકતા. તેનું કારણ છે નરેન્દ્ર દામોદરદાસ મોદીનું જાદુઈ વ્યક્તિત્વ. આખરે શું છે એવું નરેન્દ્ર મોદીમાં જેનાથી લોકો સંમોહિત થઈ જાય છે ?  હિન્દુસ્તાને મહાત્મા ગાંધીથી લઈ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. ભીમરાવ આંબેડકર વગેરે જેવા પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનાર, જાદુઈ વ્યક્તિત્વ ધરાવતા ઘણા નેતાઓ જોયા છે. બહુ દૂરની વાત ના કરીએ તો ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપાયી આવો કરિશ્મા ધરાવનાર કદાચ અંતિમ નેતા હતા. હવે નરેન્દ્ર મોદીનું નામ પણ આ મહાનુભાવો સાથે અચૂક જોડવું પડે. ભાજપ્ના સૌથી લોકપ્રિય અને જનતા સહિત દરેક પક્ષો માટે પણ આદરણીય ગણાતા નેતા અટલ બિહારી વાજપાયી પછી દેશની રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજનીતિમાં નરેન્દ્ર મોદી જેટલી લોકપ્રિયતા, ચાહના (અને વિવાદ પણ) મેળવનાર એક પણ નેતા નથી. હા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે લોકપ્રિયતાની દ્ષ્ટિએ એમની સરખામણી અચૂક થઈ શકે પણ કોંગ્રેસના આ બંને નેતા વીજળીની જેમ ચમકીને ક્યાંક અલોપ થઈ જાય છે જ્યારે નરેન્દ્ર મોદી 24 ડ્ઢ 7 નિરંતર સક્રિય જોવા મળશે. હાલમાં જ એક પ્રવચનમાં તેમણે કીધું હતું કે છેલ્લાં 12 વર્ષથી તેમણે એકપણ રજા નથી લીધી. મોદીના ફેન ફોલોઇંગમાં બોલિવુડ સુપરસ્ટાર્સથી માંડી ક્રિકેટર્સ અને નેતાઓનો પણ સમાવેશ થાય છે. ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સને માથે બેસાડનાર આ દેશનો `આમ આદમી' રાજકારણ પ્રત્યે સૂગ ધરાવે છે એ હકીકત છે તેમ છતાં નરેન્દ્ર મોદી એમાં અપવાદ છે. આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે તેના દિગ્ગજ નેતાઓને સભા ગજવવા બોલાવવા પડતા હતા ત્યારે ભાજપ માટે આ કામગીરી નરેન્દ્ર મોદીએ એકલવીરની જેમ બજાવી હતી. હા, ઔપચારિકતાના ભાગરૂપે ભાજપ્ના કેટલાક અગ્રણી નેતા અને કલાકારોને બોલાવવા પડ્યા પણ મોદી જેટલી જનમેદની તો કોઈ ભેગી ના કરી શક્યું. એકસમયે ભાજપ્નો ચહેરો ગણાતા લાલકૃષ્ણ અડવાણીની સભા પણ પાંખી હાજરીને લીધે નિસ્તેજ બની ગઈ હતી. આ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે વિવાદાસ્પદ મુદ્દાઓ પર એવી ભાષણશૈલી વિક્સીત કરી કે જેમાં સામે એકત્રિત જનમેદની જ તે વાતનું સમર્થન કરે જેને મોદી પોતાની જબાનથી વ્યક્ત ના કરવા ઈચ્છતા હોય. નરેન્દ્ર મોદી પોતાની શક્તિ અને ખૂબીઓને સારી રીતે જાણે છે અને તેનો ઉપયોગ પણ એટલીજ અસરકારકતાથી કરે છે. હાલમાં જ એનસીપીના નેતા પ્રફુલ પટેલે પણ નરેન્દ્ર મોદીના કાર્યની પ્રસંશા કરી હતી. હાલમાં સ્થિતિ એ છે કે ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની જનતા તેમને પસંદ કરે છે, ઈચ્છે છે કે આગામી વડાપ્રધાન તેઓ બને જેથી ગુજરાતની જેમ દેશને પણ ફાયદો થાય. આ છે નરેન્દ્ર મોદીનું વિરાટ વ્યક્તિત્વ.

નરેન્દ્ર મોદીને લોકો પસંદ કરે છે તેનું કારણ છે તેમનું વિઝન, દૂરંદેશીપણું. તે ગુજરાતનો વહીવટ રાજકારણી કમ સીઈઓની જેમ કરે છે. ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો કાંઈ મોદીના રાજમાં જ અસ્તિત્વમાં નહોતો આવ્યો. એ પહેલાંની સરકાર વખતે હતો જ પણ એના માટેની દૂરંદેશી અગાઉની સરકારો કે નેતાઓમાં ન હતી. નરેન્દ્ર મોદીએ ઉપલબ્ધ કુદરતી સ્રોત/સંપદાનો ભરપૂર ઉપયોગ કરી ગુજરાતને એડવાન્ટેજ આપ્યો છે. તેમણે કંડલા, મુંદ્રા, પીપાવાવ સહિત ઘણા અત્યાધુનિક બંદરો ડેવલપ કરાવી ગુજરાતને એક્સપોર્ટ હબ બનાવી દીધું. જાયન્ટ્સ કોર્પોરેટ કંપ્નીઓને એ સમજાવી શક્યાં છે કે ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય અને અહીંના દરિયાકિનારેથી જ તેમની પ્રોડ્કટ વિદેશમાં એક્સપોર્ટ થાય તો ઓછા ખર્ચે કંપ્નીઓને વધુ ફાયદો થાય. આજે ગુજરાતમાં ઉદ્યોગોની લાઈન લાગે છે એની પાછળ આ એક મહત્વનું પરિબળ છે. જોકે હવે કેટલાક નેતાઓ અને ગુજરાત (મોદી) વિરોધી  પરિબળો ગુજરાતને મળેલ આ કુદરતી સંપતિને વિકાસ માટે જવાબદાર માને છે પણ એ હકીકત સ્વીકારતાં ખચકાય છે કે મોદીની દૂરંદેશીનું આ પરિણામ છે.

`વાઈબ્રન્ટ ગુજરાત' દ્વારા મોદી દુનિયાભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા આકર્ષી ચૂક્યા છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે તે માટે સરકારે અહીં સાનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું છે. ઉદ્યોગપતિઓને તત્કાળ જમીન, વિવિધ મંજૂરીઓનો ઝડપથી નિકાલ અને ટેક્સમાં રાહત આપીને ઉદ્યોગો ગુજરાતમાં જ આવે તેવું પાક્કું આયોજન કરાયું છે. ફ્ક્ત ઉદ્યોગ જ નહીં પ્રવાસન ક્ષેત્રે પણ પહેલીવાર ગુજરાતે વિકાસની દિશા પકડી છે. આપણી પાસે ઘણાં સારા ટૂરિસ્ટ પ્લેસ અને સાંસ્કૃતિક-ઐતિહાસિક ધરોહર હોવા છતાં આપણે તેને હાઈલાઈટ કરી શક્યા ન હોવાથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર ક્યારેય વિક્સીત થયું ન હતું. કચ્છના સૂકા રણપ્રદેશ વિશે ક્યારેય ન વિચારનાર અને ધારો કે વિચારે તો પણ આવા અફાટ રણમાં તે વળી શું થઈ શકે એવી માનસિકતા તેમજ વૈચારિક દરિદ્રતા ધરાવનાર અગાઉની સરકારને, તેમણે કચ્છના રણને ગુજરાતનું ઉત્તમ ટૂરિસ્ટ પ્લેસ બનાવીને જવાબ આપ્યો છે. એક સમયે કચ્છના રણમાં કોઈ જવાનું પસંદ નહોતું કરતું, આજે એ જ રણને જોવા દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. એની સાથે સાથે ગીર, દ્વારકા, સોમનાથ, અમદાવાદ વગેરે જેવા સ્થળોએ ટૂરિસ્ટ આવતાં થયાં છે તેના માટે મોદીના વિઝનને જ શ્રેય આપવો પડે. પ્રવાસનને વેગ આપવામાં બિગ બી અમિતાભ બચ્ચનને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું મોદીનું પગલું એ માસ્ટર સ્ટ્રોક હતો.

નરેન્દ્ર મોદી સમય પ્રમાણે નવું કરવાના હિમાયતી છે. ગત ચૂંટણીમાં `મોદી માસ્ક' દ્વારા ધૂમ મચાવી તો આ વખતે `થ્રી ડી ટેક્નોલોજિ દ્વારા વિરોધીઓને ચારો ખાને ચિત્ત કરી દીધા. મોદી સારી રીતે જાણે છે કે આજની યુવાપેઢી સૌથી વધુ સમય કમ્પ્યૂટર, મોબાઈલ, ઈન્ટરનેટ અને ગેઝેટ્સ સાથે પસાર કરે છે. તેમની સાથે લાઈવ રહેવાં તે ટેક્નોસેવી બન્યા છે. સોશિયલ કમ્યુનિટી સાઈટ ફેસબુક પર નિયમિત સ્ટેટસ અપડેટ તથા ટવીટર પર પ્રસંગોચિત ટવીટ અચૂક કરે છે. યુ-ટ્યુબ પર તેમના દરેક પ્રોગ્રામની ક્લિપ જોવા મળે છે. તેમની વેબસાઈટ, ગુજરાત સરકારના પોર્ટલ ઈન્ટરેક્ટિવ છે જેથી લોકો સાથે માહિતી અને વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે. આ ઉપરાંત સોલર પાર્ક, ગિફ્ટ સિટી સહિત તેમના ઘણાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલુ છે અથવા નજીકના ભવિષ્યમાં આવી શકે છે. આજે ગુજરાતે સારા રસ્તાઓ, ઓવરબ્રિજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ટૂંકા ગાળામાં જબરજસ્ત વિકાસ સાધ્યો છે એ સૌએ સ્વીકારવું જ પડે. અમદાવાદમાં શરૂ થયેલી બીઆરટીએસ અને આ ચૂંટણીમાં બહુ ગાજેલી 108ની સેવા પણ ગુજરાતમાં પ્રશંસનીય કાર્ય કરે છે. ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટસ ક્ષેત્રે પણ ગુજરાતના ખેલાડીઓ અગ્રેસર રહે તે માટે પહેલીવાર ઉત્તમ આયોજન થયું છે.


આમ છતાં જેમ સિક્કાની બે બાજુ હોય તેમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના પણ બે ચહેરા છે વિવાદ અને વિકાસ. નરેન્દ્ર મોદીના સમગ્ર વ્યક્તિત્વને જાણવા તેમના બાળપણથી પોલિટિકલ કરિયર સુધી એક નજર કરીએ. જોકે એ વિશે બહુ માહિતી ઉપલબ્ધ ન હોવાથી લોકોક્તિ અને ચર્ચિત વાતો પર જ ધ્યાન આપવું પડે. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં મહેસાણા જિલ્લાના વડનગર જેવા નાનકડાં ગામમાં થયો હતો. પિતા દામોદરદાસ, માતા હીરાબહેન અને 6 ભાઈ બહેનોનો પરિવાર. નરેન્દ્ર મોદીનો એમાં ત્રીજો નંબર હતો. આર્થિક રીતે મોદી પરિવાર માટે એ સમય સંઘર્ષકાળ હતો. તેમના પિતાની વડનગર રેલ્વે સ્ટેશન પર ચાની કિટલી હતી ત્યારે મોદી ચા વેચવા પણ જતાં. કહેવાય છે કે વડનગરનું શર્મિષ્ઠા તળાવ અને લાઈબ્રેરી તેમના પ્રિય સ્થળ હતા. લોકોક્તિ મુજબ તો શર્મિષ્ઠા તળાવ ઘણું ઊંડું હતું અને તેમાં મગર પણ ઘણાં હતા આમ છતાં મોદી તેમાં નહાવા જતા, જે તેમની સાહસિકવૃત્તિનો પરિચય આપે છે. બાળપણથી જ તેમને વાંચનનો શોખ એટલે ગામની વચ્ચે આવેલ લાઈબ્રેરીમાં નિયમિત વાંચવા જતા. આ ઉપરાંત તેમને નાટકનો પણ ભારે શોખ હતો. બાળપણમાં તેમણે `જોગીદાસ ખુમાણ' નામના નાટકમાં રોલ પણ ભજવ્યો હતો.


યુવાવસ્થામાં મોદી વડનગર છોડી અમદાવાદ આવ્યા અને કાકાની કેન્ટીનમાં કામ કરવાનું શરૂ કર્યું. પોતે ચા બનાવતા અને વેચતા પણ ખરા. અહીં તેઓ નિયમિત ચા પીવા આવતાં સંઘના કાર્યકરોની નજીક આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદારના પ્રભાવ હેઠળ સંઘના નિયમિત કાર્યકર તરીકે જોડાયા. સંઘમાં તેઓ ચૂપચાપ કામ કરતાં રહ્યાં અને સંગઠન શક્તિથી પોતાની ભૂમિકા મજબૂત કરી. આ દરમિયાન તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

1975માં તેઓ લાલકૃષ્ણ અડવાણીના સંપર્કમાં આવ્યા. તે સમયે અડવાણી જનસંઘના ટોચના નેતા હતા. બીજેપીના મેઈન સ્ટ્રીમ રાજકારણમાં મોદીને લાવવામાં અડવાણીનો સિંહફાળો છે. 1995માં બીજેપી ગુજરાતમાં પહેલીવાર સત્તા પર આવી. કેશુભાઈ પટેલ બીજેપીના પહેલા મુખ્યમંત્રી બન્યા. જોકે થોડા વખતમાં જ ભાજપમાં આંતરિક ડખો થતાં સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલિપ પરીખ વગેરેએ મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. આ બધા વિવાદમાં પડદા પાછળ મોદી સક્રિય છે અને તે જવાબદાર છે એમ ગણાવી કેશુભાઈએ મોદીને ગુજરાત બહાર ધકેલી દીધા. ત્યારબાદ 1998માં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ફરી એકવાર બહુમતી મેળવી સત્તા પર આવી અને કેશુભાઈ પટેલ બીજીવાર મુખ્યમંત્રી બન્યા. કેશુભાઈ આ વખતે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા નરેન્દ્ર મોદીની જગ્યાએ સંજય જોશીને લાવ્યા. જ્યારે મોદીએ આ સમય દરમિયાન દિલ્હી અને હિમાચલ પ્રદેશ સંગઠનમાં કામ કર્યું. હાલમાં જ એનડીસીની બેઠક વખતે દિલ્હી ગયેલા મોદીનું જ્યારે ઉષ્માસભર સ્વાગત થયું ત્યારે મોદીએ ભાવૂક બનીને કહ્યું હતું કે આ જગ્યા સાથે મારો ખાસ લગાવ છે, અહીં મેં મારી કરિયરનો કિંમતી સમય ગાળ્યો છે.

આ તરફ ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડાં જેવા કુદરતી આફતોએ કેશુભાઈ સરકારની લોકપ્રિયતાને ફટકો પહોંચાડ્યો. આ ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપ્નો દેખાવ અપેક્ષા મુજબનો ના રહેતાં કેન્દ્રીય મોવડી મંડળ ચિંતિત બન્યું. નરેન્દ્ર મોદીએ આ તકનો લાભ લઈ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી. અડવાણીને હંમેશાં પ્રભાવિત કરનાર મોદી જ આ સ્થિતિમાં તેમને ગુજરાત માટે ઉત્તમ વિકલ્પ લાગ્યા અને 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આપ્ની જાણ માટે કે આ પહેલાં નરેન્દ્ર મોદી ક્યારેય કોઈ ચૂંટણી લડ્યા જ ન હતા. તેમણે રાજકોટ વિધાનસભામાંથી  પ્રથમવાર ચૂંટણી લડી અને જીત્યા. ગુજરાતમાં આવતાં વેંત જ નરેન્દ્ર મોદીએ પહેલું કામ સંજય જોશીને ગુજરાતમાંથી બહાર કાઢવાનું કર્યું. નરેન્દ્ર મોદી માટે વિરોધ અને વિકાસ સાથે જ ચાલ્યા છે. રોગ અને શત્રુ ઉગતા જ ડામી દેવા સારા.. એ નીતિને અનુસરતાં મોદીએ ગુજરાતમાં તેમના તમામ દુશ્મનોને કટ ટૂ સાઈઝ વેતરી નાંખ્યા છે, એ પછી શંકરસિંહ વાઘેલા હોય, સંજય જોશી હોય, કેશુભાઈ હોય કે પછી પ્રવિણ તોગડીયા.
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને સંઘ જેવી સંસ્થાઓને પણ તેમણે હાંસિયામાં ધકેલી દીધી. આજે પણ તમે ગુજરાતમાં જુઓ તો બીજેપીમાં નરેન્દ્ર મોદી પછી સેકન્ડ લીડર કોણ એ અંગેનો જવાબ નહીં મળે.
ડિસેમ્બર-02માં યાજાયેલ વિધાનસભા  ચૂંટણીમાં મોદીએ પૂરજોશમાં આવી ભાષણો કર્યા, પ્રચાર કર્યો અને બીજેપીને ફરી એકવાર જ્વલંત સફળતા અપાવી. શપથવિધિના થોડા સમય બાદ જ ગોધરા કાંડ થયો. સાબરમતી એક્સપ્રેસને ગોધરામાં મુસ્લિમોએ આગ લગાડતાં 55 હિન્દુ કારસેવકો માર્યા ગયા અને સમગ્ર ગુજરાત એ આગમાં સળગી ઉઠ્યું. એ દરમિયાન મોદી પર તોફાનને અંકુશમાં ન લેવા અને લોકોને ખૂલ્લો દોર આપી દેવાનો પણ આક્ષેપ થયો. ગોધરા કાંડના છાંટા એમના દામન પર એવા લાગ્યા કે આજદિન સુધી તે ધોઈ શક્યા નથી. તે સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીએ પણ તેમને રાજધર્મ  નિભાવવાની સલાહ આપી હતી.

ગોધરાકાંડમાંથી ગુજરાતને બહાર આવતાં દોઢ-બે વરસ જેવો સમય લાગ્યો. નરેન્દ્ર મોદી પણ હવે હિન્દુત્વ અને સાંપ્રદાયિક માહોલની બહાર આવવા ઈચ્છતા હતા એટલે તેમણે વિકાસની રાહ પકડી જેના ફળ સ્વરૂપે વાઈબ્રન્ટ ગુજરાત અને બિઝનેસ સમીટની શરૂઆત થઈ. 2007ની ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો, ગોધરાકાંડના છાંટા અને વિરોધવંટોળ વચ્ચે પણ મોદી શાનથી ચૂંટણી જીત્યા. ત્યારબાદ તો મોદી વિકાસની રાહ પર એવા ચાલી નીકળ્યા કે ગુજરાતની દશા અને દિશા બંને બદલાઈ ગઈ. ગામડાંથી લઈ, તાલુકા અને શહેર સુધી દરેક સરકારી કાર્યક્ષેત્રમાં તેઓ કમ્પ્યૂટર ટેક્નોલોજિ લઈ આવ્યા. ગુજરાતની વિકાસયાત્રામાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ટાટા નેનોની ગુજરાતમાં એન્ટ્રીથી. પ. બંગાળમાં ટાટાને જગ્યા અંગે વિવાદ થતાં મોદીએ તક ઝડપી લીધી અને તાત્કાલિક ધોરણે ટાટાને સાણંદમાં જગ્યા ફાળવી. ત્યારબાદ આજે મારુતિ, ફોર્ડ, પ્યૂજો સહિત ઘણી મલ્ટિનેશનલ કંપ્નીઓની લાઈન લાગી ગઈ. મોદી સમજી ગયા કે વિકાસની રાજનીતિ જ તેમને લાંબે ગાળે ફાયદો કરાવશે. એથી દર વર્ષે નવાં આયોજન અને નવી નીતિઓ અમલમાં મૂકતા ગયા અને સફળતા પણ મેળવી.

2012ની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે અને કોંગ્રેસ માટે પણ અસ્તિત્વનો જંગ હતી. મોદી માટે વિરોધીઓનો પાર ન હતો એમાંય કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટી નામે નવો મોરચો ખોલતાં મોદીને તકલીફ પડશે એવી બધે હવા હતી. તો કોંગ્રેસે `ઘરનું ઘર', લેપટોપ અને કંઈ કેટલાય પ્રલોભનો આપી લોકોની દિશા અને દશા બદલવાનો દાવો કર્યો હતો પણ જનતા કામ કરનારની જ કદર કરે છે એ આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પૂરવાર થઈ ગયું.

આ દરમિયાન તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણો વિરોધ સહન કરવો પડ્યો. અમેરિકા જેવા દેશે વિઝા આપવાની ના પાડી તો ગુજરાત સરકારના મંત્રી અને કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફેક એન્કાઉન્ટરના વિવાદ અને કેસ થયા. નરેન્દ્ર મોદીએ આ કપરા કાળમાં પણ બધી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કર્યો અને સલામત રીતે બહાર પણ નીકળી ગયા. થોડા સમય પહેલાં જ તેમણે જાપાન અને ચીન જેવા દેશમાં પ્રવાસ ખેડી ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ માટે તેમને આમંત્રણ આપ્યું હતું. તો સદ્ભાવના દ્વારા તેમણે મુસ્લિમોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિટન જેવા દેશે પણ ગુજરાતના ડેવલપમેન્ટ મોડલથી આકર્ષાઈને તેમના મંત્રીઓને ગુજરાત સરકારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.

હાલમાં જ ગુજરાતમાં ચોથી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી વધુ શાસન કરવાનો રેકોર્ડ ધરાવે છે. હજી બીજા પાંચ વર્ષ માટે તેમને જનસમર્થન મળ્યું છે ત્યારે એ જોવું હવે રસપ્રદ રહેશે કે મોદી ગુજરાતમાં રહે છે કે ગુજરાતની સીડીથી દિલ્હીની ગાદી સુધી પહોંચે છે.


BOX Item - 1

પી.એમ. પદ માટે સૌથી મજબૂત દાવેદાર પણ દિલ્હી હજી દૂર
નરેન્દ્ર મોદીનો જાદુ ફક્ત ગુજરાતમાં જ છે એવું તમે જો માનતા હો તો ભૂલ કરો છો. રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં મોદી મોસ્ટ પોપ્યુલર નેતા છે. ગુજરાતમાં તો બીજેપીનો બીજો અર્થ જ નરેન્દ્ર મોદી છે. તેમના દરેક સ્ટેટમેન્ટ અને કામકાજની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે. મીડિયા તથા જનતા નરેન્દ્ર મોદી પીએમ બનશે કે નહીં તેની રોજ ચર્ચા કરે છે પણ મોદી પોતે આ મામલે મગનું નામ મરી નથી પાડતા. ભાજપમાં અડવાણી પી.એમ. ઈન વેઈટિંગ તરીકે પહેલેથી જ લાઈનમાં છે પણ મોદીની લોકપ્રિયતા તેમને ઈર્ષ્યા કરાવે તેવી છે. અડવાણી જ નહીં આખું કેન્દ્રીય બીજેપી મોવડીમંડળ મોદીના વધતા કદથી ચિંતામાં છે. તેના ઘણાં કારણો પણ છે. મોદીની સાંપ્રદાયિક ઈમેજ 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએને નુકસાન કરાવી શકે એવી ભીતિ તમામ ઘટક પક્ષોને છે. એ ઉપરાંત લોકસભાની ચૂંટણી કોંગ્રેસ વિરુદ્ધ મોદીનો જંગ પણ બની જાય એવી શક્યતા રહેલી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભ્રષ્ટાચાર અને નાકામિયાબ  સરકારના મુદ્દે ઘેરવા ઈચ્છતું એનડીએ એટલા માટે જ મોદીને પીએમ તરીકે પ્રોજેક્ટ કરવાથી બચે છે. જોકે અંદરખાને રામ જેઠમલાણી સહિત ઘણા લોકો મોદીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે એ હકીકત છે. હાલમાં જ યોજાયેલ શપથવિધિ સમારોહ એ નરેન્દ્ર મોદીનું શક્તિ પ્રદર્શન હતું એમ કહીએ તો જરાય ખોટું નથી.



વિકાસના ફળ તમામ વર્ગના લોકો સુધી પહોંચે એ જરૂરી

ગુજરાતે સાધેલ વિકાસની પ્રસંશા ચોતરફ થાય છે ત્યારે એ પણ હકીકત છે કે વિકાસના ફળ સીમિત જનતા સુધી જ પહોંચ્યા છે. ખાસ કરીને ખેડૂતો મોદીથી નારાજ છે. નર્મદાનું પાણી હજી ખેતી માટે દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી તો સિંચાઈ માટે પૂરતી વીજળી પણ મળી રહે એ જરૂરી છે. ગુજરાત સરકારે હાઉસીંગ બોર્ડ અને સ્લમ બોર્ડની યોજનાઓ બંધ કરી દેતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે `ઘરનું ઘર' બનાવવું આજે સ્વપ્ન બની ગયું છે. સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો નિકાલ માંગે છે. મોંઘવારી અને તેલના ભાવ આસમાને છે ત્યારે ગુજરાતની જનતા મોદી પાસે એ દિશામાં કામ થાય એની અપેક્ષા રાખે છે. ખોબલે ખોબલે વોટ આપ્નાર ગુજરાતની જનતા ઓઈલના ભાવમાં ગુજરાત સરકાર વેટ ઘટાડે એવી ઈચ્છા રાખે એ સ્વાભાવિક છે જેથી પેટ્રોલ -ડીઝલ સસ્તુ થાય. જનતાનો એ પણ આક્રોશ છે કે પોતાના મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મળવું હોય તો આસાનીથી મળી શકાતું નથી. આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણ અને ડેવલપમેન્ટનું પ્રમાણ ઓછું છે. શિક્ષણની વાત કરીએ તો ગુજરાતમાં આજે શિક્ષણ મેળવવું ખૂબ મોંઘુ થઈ ગયું છે. પ્રાઈવેટ સ્કૂલ-કોલેજો બેફામ ફી લઈને લૂંટે છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે ધરખમ પરિવર્તનની લોકો અપેક્ષા રાખે છે.



નરેન્દ્ર મોદીની પર્સનાલિટી જ આકર્ષણનું કેન્દ્ર છે
 
મોદીના વ્યક્તિત્વને હંમેશાં રાજનીતિક દ્ષ્ટિકોણથી જ જોવામાં આવે છે એના કારણે એમની પર્સનલ લાઈફ પર એટલું ફોકસ થયું નથી. તેઓ પોતે અવિવાહિત હોવાનો દાવો કરે છે અને કુટુંબથી પણ દૂર થઈ ગયા છે એટલે આમ પણ તેમની નિજી જિંદગી વિશે બહુ ઓછા લોકો જાણે છે.અલબત્ત મુખ્યમંત્રી બન્યા બાદ તેમની લાઈફ સ્ટાઈલમાં ધરખમ ફેરફાર આવ્યા છે. તેમની ડ્રેસિંગ સેન્સ લાજવાબ છે, ઈમ્પ્રેસીવ છે. `મોદી કૂર્તા' આજે બ્રાન્ડ બની ગયા છે. રિમલેસ ગ્લાસ (ચશ્મા) થી હંમેશાં સજ્જ રહેતા મોદી સ્ટાઈલ સ્ટેટમેન્ટથી વાકેફ છે એટલા માટે જ કચ્છ રણોત્સવ જેવા પ્રસંગે હેટ, ડાર્ક ગોગલ્સ, ઓવરકોટમાં સજ્જ જોવા મળે તો બિઝનેસ સમિટમાં સંપૂર્ણપણે પશ્ર્ચિમી પહેરવેશ અપ્નાવી લે. `આમ' આદમી મોદી હવે રોયલ મોદી લાગે છે. તેમના ફોટોગ્રાફીના શોખથી કોઈ અજાણ નથી. લેટેસ્ટ ડિજિટલ કેમેરા પર તેઓ હાથ અજમાવી ચૂક્યા છે. કચ્છ રણોત્સવ વખતે પણ તેમણે ફોટોગ્રાફી કરી હતી.
મોદીની દિનચર્યા પણ જાણવા જેવી છે. મોદી વર્કોહોલિક છે, રાત્રે ગમે તેટલું મોડું થાય પણ રોજ સવારે 5 વાગે ઉઠી જવાનું. સવારે દિનચર્યા પતાવી યોગ, પ્રાણાયામ મેડિટેશન કરવાનું. ત્યારબાદ ન્યૂઝપેપર વાંચી તેઓ લેપટોપ પર ફેસબુક, ટ્વીટર તેમજ પોતાની સહિત અન્ય  વેબસાઈટ સર્ફ કરે છે. તે કહે છે કામનો મને ક્યારેય થાક નથી લાગતો બલ્કે કામ પૂરું થયા બાદ આનંદ અને સંતોષ મળે છે. તે ફિલ્મો ઓછી જુએ છે છતાં ઓફબીટ ફિલ્મો તેમને ગમે છે જેને જોઈને વિચારપ્રક્રિયાનો આરંભ થાય. તેમના જીવન પર સ્વામી વિવેકાનંદનો મોટો પ્રભાવ છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ રસ ધરાવે છે. હિમાલય તેમનું મનગમતું સ્થળ છે જ્યાં શાંતિ અને પ્રકૃતિની ગોદમાં આત્મચિંતન કરી શકાય છે. મનની શુધ્ધિ માટે પ્રાર્થના જરૂરી છે એવું તેઓ માને છે અને તેથી જ પ્રાર્થનાને ખાસ મહત્ત્વ આપે છે. રોજ સવારે ઓમકારનું સ્મરણ કરે છે. કવિતા લખવાના શોખીન નરેન્દ્ર મોદીનો `આંખ આ ધન્ય છે' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે. તો પર્યાવરણ જેવા વિષય પર પણ તેમણે `કન્વીનીઅન્ટ એક્શન : પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારો અંગે ગુજરાતનો જવાબ' નામનું પુસ્તક પણ લખ્યું છે.